સાડા નવ વીઘા, મતલબ અંદાજીત અઢી લાખ સ્ક્વે.ફીટની વિશાલ ભૂમિ પર આકાર પામેલ શ્રી રાજગૃહી તીર્થ...


રાજગૃહી ભૂમિ ! વિશ્વની ઐતિહાસિક ભૂમિ છે.

બિહારની શાન છે. જિનશાસનની માન છે. જિનશાસનના અગણિત પ્રસંગો એની શાખ છે. ભગવાન મહાવીર પ્રભુનું વિચરણ આ ભૂમિ પર વિરાટકાળ સુધી થયું છે. મહારાજા શ્રેણિક, અભયકુમાર, શાલીભદ્ર્જી, ધન્નાજી, જમ્બુસ્વમીજી, સુદર્શન શેઠ, મેઘકુમાર, સુલસા શ્રાવિકા, પુણીયો શ્રાવક, અર્જુનમાળી, રોહીણીયો ચોર વગેરે ધન્યતમાં આ ભૂમિની બદોલત છે.
નાલંદાનો પાડો, કુંડલપુર, ગૌતમસ્વામી ભગવંત આદિ ગણધર ભગવંતો વગેરે પણ આ ભૂમિ સાથે સંકળાયેલા છે.

એથી પરાકાળ-ભૂતકાળમાં ડોકિયું કરીએ તો શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, તેમજ કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણકથી પવિત્રતમ થયેલી આ ભૂમિ છે. અશ્વાવબોધ – ઘોડાને પ્રતીબોધનો પ્રસંગ પણ આ ભૂમિ પર ઘટેલ છે. વ્યવહાર ભાષ્યના કથન પ્રમાણે આ ભૂમિ પર શ્રી મુનિસુવ્રતસ્વામીએ પ્રાયશ્ચિતો દ્વારા અગણિત આત્માઓને વિશુદ્ધ કાર્ય છે. પ્રભુના વિરહમાં પણ આ ભૂમિ પર આવીને પ્રતિમાજી સામે સાધના દ્વારા અધિષ્ઠાયક દેવોના માધ્યમે પ્રાયશ્ચિત લેવાતા.
આ રાજગૃહી ભૂમિ આજે “રાજગૃહી તીર્થ” તરીકે ઓળખાય છે. એ ભૂમિ, એ તીર્થ, કે એ પ્રસંગોને પામવા આપણે દૂર-સુદૂર ત્યાં જવું પડે છે. દૂર-સુદૂર ત્યાં જવું સર્વેને અનુકુળ આવે તેમ નથી. એ ભૂમિ, એ તીર્થ કે એ પ્રસંગો આપણે વારંવાર યાદ કરી શકીએ તેવી ભાવનાથી અમદાવાદથી ૪૮ કિ.મી. દૂર બાવળા-બગોદરાની મધ્યમાં કલ્યાણગઢ ગામના કિનારે, નેશનલ હાઈવે ટચ શ્રી રાજગૃહી તીર્થનું નિર્માણ થયેલ છે.

વિ.સં. ૨૦૬૮ મહા સુદ-૬, તા. ૨૯-જાન્યુ. ૨૦૧૨, રવિવારના દિવસે દોઢસો શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં અંજન-પ્રતિષ્ઠા થઇ.

અહીં ત્રિશિખરીય ભવ્ય-વિશાળ જીનાલય, મૂળનાયક પ્રભુ ૭૫ ઇંચના બ્લેક ગ્રેનાઈટમાં ૨૦મા શ્રી મુનિસુવ્રતસ્વામી દાદા, બે હજાર સ્કે. ફીટના વિશાળ રંગમંડપમાં બે દેરી, ચાર ગવાક્ષ- એમ કુલ ૧૧ ભગવાન, ભુમીગૃહમાં નવગ્રહાધિપતિ યુક્ત બાવીસસો વર્ષ પ્રાચીન શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ નવગ્રહાધિપતિ યુક્ત નવ પ્રાચીન ભગવાન, પાવાપુરીય શ્રી મહાવીરપ્રભુ, તે સિવાય રજતના ભગવાન, સ્વર્ણસમા પાંચ ધાતુના ભગવાન, શ્રી માણીભદ્રજી, નાકોડાજી, ભોમીયાજી, શનિદેવ, ક્ષેત્રપાલ, શ્રી પદ્માંવાતીજી, સરસ્વતીજી, મહાલક્ષ્મીજી, વગેરે દેવ-દેવીથી શોભિત ભવ્ય જીનાલય છે. સાથે બે વિશાળ ઉપાશ્રય, ભવ્ય ભોજનશાળા, મંગલ આરાધના ભવન, ૪૮ બ્લોકની વિશાળ ધર્મશાળા, બાળક્રીડાંગણ નિર્માણ પામેલ છે. હાજર-હજૂર સાક્ષાત ક્ષેત્રદેવ પણ સ્થાપિત છે.
આપના સાથ-સહકારથી નજીકના સમયમાં કાર્યાલય, ભવ્યાતિભવ્ય ગેટ, પાણીની પરબ, ચબુતરો, વૈભારગિરિ આદિ પાંચ પહાડ પણ નિર્માણ થશે. ગુરુકુળ પણ વિચારણીય છે.